a Shri Mahavir Charitable Trust

તા.૨૬-૧-૨૦૦૧ શુક્રવાર... સમય સવાર ના ૮:૪૬ વાગે... અમદાવાદ તીવ્ર ભૂકંપથી ધણધણી ઉઠ્યુ... અનેક મકાનૉ ધરાશાયી થઈ ગયા! કેટલાક લોકો આ ધરાશાયી થયેલા મકાનો નીચે દટાઈ મર્યા યા ઈજા પામ્યા! અનેક કુટુંબો બેઘર થઈ ગયા ! ગણતરી ની પળોમાં અમદાવાદ સ્મશાનભુમિ જેવુ બની ગયુ !

આ બનાવમા અમદાવાદમા રહેતા સ્થાનક્વાસી જૈનો પણ અસર પામ્યા. નવરંગપુરા સંધના શ્રી ભરતભાઈ જે. શાહ આ બનાવથી ખુબ જ વ્યથિત થયા અને તેમણે રસ્તા પર જતીઆવતી વ્યકતિઓ સામે, તેમના સ્વયંસેવકો સાથે દાન માટે ઝોળી ફેલાવી અને સાંજ સુધીમા તો સારી એવી રકમ એકઠી થઈ ગઈ. આનાથી પ્રેરાઈને તેમણે નારણપુરા સંઘ ના શ્રી જયંતીભાઈ સંધવીના સહકારથી અમદાવાદ શહેરના સર્વે સ્થાનકવાસી જૈન સંધોના આગેવાનોને એક્ત્ર કર્યા. સંધના દરેક આગેવાનોને પોતાના સંધમાથી અને સંધના સ્ભયો પાસેથી વધુને વધુ દાન લાવી સમસ્ત અમદાવાદ ના સ્થાનકવાસી જૈન સમાજની મદદે ધસી જવા હાકલ કરી . સર્વે સંધો સહમત થયા અને જોતજોતામા રૂ.૩૨ લાખ જેવી માતબર રકમ ભેગી થઈ અને એમાથી જન્મ થયો અમદાવાદના સર્વે સંધોનું પ્રતિનિધિત્વ ધરાવતા શ્રી મહાવીર ચેરીટેબલ ટ્રસ્ટ્નો. આ ટ્ર્સ્ટ બન્યુ અમદાવાદના સર્વે સંધોંનુ સહિયારું ટ્ર્સ્ટ બન્યું અને બધા સંધ તેના સભ્ય બન્યા.

અમદાવાદ શહેરના ભૂકંપથી અસર પામેલા સર્વે સ્થાનકવાસી સભ્યોની અરજીઓ મંગાવી, જુદા જુદા સંધોમાંથી ૧૭ સ્વયંસેવકો નક્કી કરી, બધા અરજદારોનો સર્વે કરી, અસર પામેલા કુલ ૨૭૦ કુટુંબોને સંતોષકારક યથાયોગ્ય રકમ ની વહેચણી કરી . આ દરમ્યાન કેટ્લીક વયક્તિઓએ સહાય લેવાને બદલે આ રકમ લોન સ્વરૂપે લીધી અને લોન પરત આવતા ટ્ર્સ્ટ પાસે અનંદાજે રૂ. ૪ થી ૫ લાખની રકમ વધી.

હવે આ વધેલી રકમનું શું કરવું? તે માટૅ શ્રી મહાવીર ચેરિટૅબલ ટ્ર્સ્ટ્ના ટ્રસ્ટીઑ ફરી મળ્યા અને કોઇ રચનાત્મક કાર્ય કરવું એવી ભાવનાથી વિચાર કરતા એવા નિષ્કર્ષ પર આવ્યા કે અમદાવાદ શહેરમાં અનેક તેજસ્વી વિદ્યાર્થિઓ ધોરણ ૧૨ પછી આર્થિક મુશ્કેલીઓના કારણે આગળ ઉચ્ચ અભ્યાસ કરી શકતા નથી અને તેમની તેજસ્વિતા વેડફાઈ જાય છે. જો આપણો સ્થાનકવાસી જૈન સમાજ આવા તેજસ્વી વિદ્યાર્થિઓને સહાય કરે તો તેઓ ખુબ આગળ વધે અને તેમના કુટુંબની સાથે સાથે આપણો સમાજ પણ ઉપર આવે. આમાથી ઉદભવ થયો " તેજસ્વી વિદ્યાર્થિઓના ઉચ્ચ અભ્યાસ માટેની યોજના ( Scheme for Higher Education of Talented Students)" નો. આ યોજના અન્વયે વિદ્યાર્થિઓને ૧૨મા ધોરણ પછીના ઉચ્ચ અભ્યાસક્રમ માટે તેનો ડિગ્રી કોર્સ પુરો થાય ત્યાં સુધી દર વર્ષે ટ્રસ્ટ દ્વારા કોલેજ ફી પેટે નિયત કરેલ રકમની લોન સહાય આપવી - તેવું નક્કી કરવામા આવ્યું

માત્ર રૂ. ૪ થી ૫ લાખ જેવી નજીવી રકમથી અમદાવાદ શહેરમાં વસતા ૧૦,૦૦૦ જેટલા સ્થાનકવાસી જૈન કુટુંબોના વિદ્યાર્થીઓને સહાયરૂપ થવાનો પ્રશ્ન વિકટ તો હતો જ. આથી આ સહાય લેનાર વિદ્યાર્થીઓના ૪ વ્યક્તીવાળા કુટુંબની આવકમર્યાદા રૂ. ૬૦,૦૦૦/- નક્કી કરવામાં આવી અને વર્ષે રૂ. ૧ લાખ વાપરવા એમ નક્કી થયું. આથી સંસ્થા પોતાની પાસેની રકમ થી ૨ થી ૩ વર્ષ કાર્ય કરી શકે. અને કાર્યની સફળતા જોઇને સમાજ ના દાતાઓ જરૂરથી દાન આપશે. જૈન સમાજ માં દાનવીરોની ખોટ નથી અને આવી કેળવણી સાથે સમાજ ઉત્કર્ષના કાર્ય માટે દાતાઓ પાછી પાની નહિ કરે, તે શ્રધ્ધાસાથે સ્કીમની શરૂઆત વર્ષ ૨૦૦૨-૨૦૦૩ થી કરવામાં આવી .આપણાજ સમાજની સંસ્થામાંથી લોન લેવાના ક્ષોભના કારણે શરૂઆતમાં ૨૦૦૨-૨૦૦૩ માં ૧૨, ૨૦૦૩-૨૦૦૪ માં ૧૨, અને ૨૦૦૪-૨૦૦૫ માં ૧૫ નવા વિદ્યાર્થીઓએ જ લાભ લીધો. ટ્રસ્ટે આ લાભ લેનાર વ્યક્તિ અંગે સંપૂર્ણ Privacy ની સમજ આપતા ધીરે ધીરે વિદ્યાર્થીઓ વધતા ગયા. ૨૦૦૨ એપ્રિલ માસથી માર્ચ ૨૦૦૯ સુધીમાં કુલ ૧૮૯ વિદ્યાર્થીઓએ આ યોજનાનો લાભ લીધો અને ૨૦૦૯-૨૦૧૦ માટે બીજા નવા ૫૭ જેટલા વિદ્યાર્થીઓ ઉમેરાયા. આમ અત્યાર સુધીમાં કુલ ૨૭૯૯ જેટલા વિદ્યાર્થીઓ આ લાભ લઇ રહ્યા છે.

ટ્રસ્ટની આ પ્રગતિ સાથે ટ્રસ્ટને પડકાર પણ આવતા ગયા. ૨૦૦૨-૨૦૦૩ માં સેલ્ફ ફાયનાન્સ કોલેજોની શરૂઆત જ થઇ હતી એટલે એ સમયે ફી ના ધોરણ બહુ ન હતા, તેથી વાંધો ન આવ્યો . પરંતુ સમય જતા સેલ્ફ ફાઈનાન્સ કોલેજો વધતી ચાલી અને સાથે સાથે ફી ના ધોરણ પણ વધતા ગયા.પરંતુ ટ્રસ્ટના તે સમયના ઉપ-પ્રમુખ સ્વ. શ્રી ચમનભાઈ પાટડીવાળાએ સૂત્ર આપ્યું કે ..... "સ્થાનકવાસી જૈન કુટુંબનો કોઈપણ વિદ્યાર્થી ગ્રેજ્યુએશનથી ઓછો ભણેલો ના હોવો જોઈએ."

વર્ષ ૨૦૦૨-૨૦૦૩ માં એક વિદ્યાર્થીને વર્ષે રૂ. ૮૦૦૦/- સુધીની લોન સહાય આપતા હતા, જે ૨૦૦૯-૨૦૧૦ સુધી વિદ્યાર્થી દીઠ વર્ષે રૂ. ૨૫,૦૦૦/- સુધીની લોન સહાય અપાય છે. જે વર્ષ ૨૦૨૧-૨૦૨૨ થી વિદ્યાર્થી દીઠ વર્ષે રૂ. ૪,૦૦,૦૦૦/- લોન સહાય આપવાનું નક્કી કરેલ છે.સહાય લેનાર વિદ્યાર્થી ની ૪ વ્યક્તીવાળા કુટુંબની વાર્ષિક આવકમર્યાદા પણ રૂ. ૬૦,૦૦૦/- થી વધારીને વાર્ષિક રૂ. ૧૧,૦૦,૦૦૦/- નક્કી કરવામાં આવી છે. વર્ષ ૨૦૦૨-૨૦૦૩ દરમિયાન કુલ સહાયની રકમ માત્ર રૂ ૬૮,૭૪૦/- થયેલ જે વધીને વર્ષ ૨૦૨૧-૨૦૨૨ સુધી માં સહાય ની રકમ રૂ. ૩૧ કરોડ ૫૬ લાખ થયેલ છે અને ૨૦૨૧-૨૦૨૨ ના વર્ષ દરમિયાન કુલ ૩૬૮ વિદ્યાર્થીઓને રૂ. ૫ કરોડ ૩૮ લાખ અપાઈ ગયા છે. 'વિદ્યાદાન - મહાદાન' દ્વારા સમજ ઉત્થાનના આ ભગીરથ કાર્યમાં ઉદાર હાથે દાન આપી આપ સહભાગી થશો એ જ અભ્યર્થના.

Statistical Development